સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકસભામાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા મુદ્દા પર મોટી ઘમાસાણ થાય તેવી શક્યતા વચ્ચે કોંગ્રેસ અને સત્તાધારી NDA બંને તરફથી પોતાના સાંસદો માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
કોંગ્રેસનો થ્રી-લાઇન વ્હિપ
લોકસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક (ચીફ વ્હિપ) કોડિકુન્નિલ સુરેશે પાર્ટીના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો છે.
-
તારીખો: ૧૦, ૧૧ અને ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ (સોમવારથી બુધવાર).
-
સૂચના: ત્રણેય દિવસ સવારે ૧૧ વાગ્યાથી ગૃહની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સાંસદોએ ગૃહમાં ફરજિયાત હાજર રહેવું અને પાર્ટીના સ્ટેન્ડનું સમર્થન કરવું.
-
ગેરહાજરી: કોઈપણ સંજોગોમાં સાંસદોની ગેરહાજરી ચલાવી લેવામાં આવશે નહીં.
NDA એ પણ કમર કસી
બીજી તરફ, ભાજપ પ્રેરિત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ પણ પોતાના તમામ સાંસદોને ૧૦ ઓગસ્ટથી દિલ્હી છોડીને બહાર ન જવાની અને રાજધાનીમાં જ હાજર રહેવાની સૂચના આપી છે.
શું હોઈ શકે છે કારણ?
સંસદના બંને ગૃહોમાં આ પ્રકારની તૈયારીઓને જોતા અટકળો તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ દિવસો દરમિયાન ‘ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ’ (FCRA સુધારા વિધેયક) જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બિલને રજૂ કરીને પસાર કરાવવાની યોજના બનાવી રહી છે, જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચા થવાની શક્યતા છે.










