જાપાન-વેનેઝુએલા બાદ ભારત પણ ધ્રૂજ્યું: પુલવામામાં ભૂકંપનો આંચકો

શ્રીનગર: વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ વચ્ચે ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી છે. જાપાન અને વેનેઝુએલામાં ભૂકંપના અહેવાલો બાદ પુલવામા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાતા સ્થાનિક લોકોમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ ભૂકંપ જમીનથી આશરે 15 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ઓછી તીવ્રતાના આ ભૂકંપના આંચકા કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા.

ભૂકંપ અનુભવાતા અનેક લોકો ઘરની બહાર નીકળી ખુલ્લી જગ્યાએ પહોંચ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમયાંતરે હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE