ભારત સરકારે દેશની સૈન્ય સુરક્ષા અને રણનીતિક નેતૃત્વને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય લીધા છે. જેના અંતર્ગત ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વામીનાથન આગામી 31 મેના રોજ પોતાનો નવો પદભાર સંભાળશે. તેમનો આ કાર્યકાળ 31 ડિસેમ્બર, 2028 સુધી રહેશે. જે દરમિયાન તેઓ નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવાની જવાબદારી નિભાવશે.
વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનનો સૈન્ય પ્રવાસ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે, જેની શરૂઆત 1 જુલાઈ, 1987ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાવાથી થઈ હતી. તેઓ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીના વિશેષ નિષ્ણાત માનવામાં આવે છે. ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માં અભ્યાસ કર્યા બાદ, તેમણે યુકેની જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ અને યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજમાં પણ ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવી છે. જે તેમના નેતૃત્વને વૈશ્વિક દ્રષ્ટિકોણ પૂરું પાડે છે.
નૌકાદળના વડાની સાથે સરકારે દેશના સર્વોચ્ચ સૈન્ય પદ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) માટે પણ મહત્વની જાહેરાત કરી છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યમ દેશના આગામી CDS તરીકે નિયુક્ત થયા છે, જેઓ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. વર્તમાન CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.ત્યારબાદ રાજા સુબ્રમણ્યમ આ જવાબદારી સંભાળીને ત્રણેય પાંખ વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવશે.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણ્યમ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)માં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે અને અગાઉ તેઓ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ જેવી મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. તેમની આ નિમણૂક પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેનાના “થિયેટરાઇઝેશન” કાર્યક્રમને વેગ આપવાનો છે.આ વ્યૂહાત્મક ફેરફારો દ્વારા ભારત સરકાર આધુનિક યુદ્ધના પડકારોને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓને એકીકૃત કમાન્ડ હેઠળ લાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.
Post Views: 0











