પોલીસ અધિક્ષક સાગર બાગમારનો મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય; LCB, ગાંધીધામ, અંજાર, આદિપુર અને ભચાઉ સહિત અનેક યુનિટમાં બદલીઓ
ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા એકસાથે 293 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી કવાયત તરીકે જોવામાં આવી રહ્યો છે.
બદલી યાદી મુજબ 88 પોલીસ કર્મચારીઓની તેમની માંગણીના આધારે બદલી કરવામાં આવી છે, જ્યારે 205 કર્મચારીઓને જાહેરહિત અને વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાએ ફાળવવામાં આવ્યા છે.
આ ફેરબદલ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ સહિતના મહત્વના પોલીસ મથકો અને વિવિધ શાખાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. અનેક કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ અસરકારક બનાવવી, કર્મચારીઓ વચ્ચે કાર્યક્ષમતાનો સંતુલિત ઉપયોગ કરવો તેમજ વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ આંતરિક બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બદલીના આદેશ બાદ તમામ સંબંધિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી ફરજના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસમાં થયેલા આ મેગા ફેરબદલને લઈને પોલીસ વિભાગમાં દિવસભર ચર્ચાઓનો માહોલ રહ્યો હતો.










