રમઝાનના પવિત્ર મહિનાના 30 રોજા અને ઈબાદત બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઈદનો ચાંદ દેખાતાની સાથે જ મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું અને લોકોએ આતશબાજી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અકીદતબંદોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે અને લોકો એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી આપી રહ્યા છે.
પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, “ઈદ-ઉલ-ફિત્રની ખૂબ ખૂબ વધામણી. આ દિવસ પરસ્પર ભાઈચારા અને દયાની ભાવનાને વધુ મજબૂત કરે. તમામ લોકો ખુશ અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના.”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશના નાગરિકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ઈદની શુભકામનાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે:
“ઈદનો આ તહેવાર આપણને આત્મસંયમ, સેવા અને બીજાને મદદ કરવાની શીખ આપે છે. આ મુબારક પ્રસંગે તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન. આ તહેવાર પરોપકાર અને વંચિત વર્ગો પ્રત્યે દયાભાવ રાખવાની પ્રેરણા આપે છે. ચાલો, આ અવસરે આપણે સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવાનો સંકલ્પ કરીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ દિવસે આપણે જરૂરિયાતમંદ અને નબળા વર્ગના લોકો પ્રત્યે કરુણા અને સહયોગની ભાવના રાખવી જોઈએ.
પીએમ મોદીએ ‘નવરોઝ’ની પણ વધામણી આપી
ઈદની સાથે પીએમ મોદીએ નવરોઝ (પારસી નવું વર્ષ) ના ખાસ અવસરે પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કામના કરી હતી કે આ પવિત્ર અવસર દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. પીએમએ સંદેશમાં જણાવ્યું કે આવનારું વર્ષ દરેક માટે ખુશહાલ રહે અને લોકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય. નવરોઝ એ પારસી સમુદાયનો મુખ્ય તહેવાર છે.જે નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.
Post Views: 79











