કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે, શા માટે ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર્સ અને સમલૈંગિક પુરુષો રક્તદાન કરી શકતા નથી. વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર, આ ત્રણ વર્ગોના લોકો પર રક્તદાન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકાર અને સંબંધિત સંસ્થાઓને નોટિસ
શરીફ ડી. રંગનેકર નામની વ્યક્તિએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા (NACO) અને રાષ્ટ્રીય રક્તદાન પરિષદને નોટિસ પાઠવી હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કરીને પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે, આ કોઈ ભેદભાવ નથી.
સંશોધન અને અભ્યાસના આધારે નિર્ણય
સરકારે આ પ્રતિબંધ પાછળ જાહેર સ્વાસ્થ્ય અને દર્દીઓની સુરક્ષાને મુખ્ય કારણ ગણાવ્યું છે. સોગંદનામામાં જણાવાયું છે કે:
-
વિવિધ હેલ્થ રિસર્ચ અને અભ્યાસ મુજબ, ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર્સ અને સમલૈંગિક પુરુષો દ્વારા આપવામાં આવેલા લોહીમાં HIV સંક્રમણનું જોખમ સામાન્ય લોકો કરતા 6 થી 13 ગણું વધુ હોય છે.
-
આ નિર્ણય વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે લેવામાં આવ્યો છે જેથી રક્ત મેળવનાર દર્દીને કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે.
HIV સહિત 3 પ્રકારના સંક્રમણનું જોખમ
હાલમાં ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટી પક્ષ રજૂ કરી રહ્યા છે. અરજીમાં એવો દલીલ કરવામાં આવી છે કે, 2017ની ગાઈડલાઈન્સ HIV, હેપેટાઈટિસ અથવા ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિસિબલ ઈન્ફેક્શન (TTI) ના જોખમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.
માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ
અરજદારનો આરોપ છે કે, સરકારની આ ગાઈડલાઈન બંધારણની કલમ 14, 15, 17 અને 71 હેઠળ મળેલા સમાનતા અને સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે, આ નિયમો 1980ના દાયકાના અમેરિકાના નિયમોથી પ્રેરિત છે અને તપાસ કર્યા વગર જ સીધો પ્રતિબંધ મૂકવો એ આ વર્ગો પ્રત્યે પૂર્વગ્રહ રાખવા જેવું છે.
સરકારનો પક્ષ: પૂરતા પુરાવા ઉપલબ્ધ છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની પાસે પૂરતા અને નક્કર પુરાવા છે જે દર્શાવે છે કે આ સમુદાયોમાં HIV, હેપેટાઈટિસ-B અને હેપેટાઈટિસ-C નું જોખમ સૌથી વધુ રહેલું છે. જો તેમનું લોહી અન્ય દર્દીને ચઢાવવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ પ્રકારના પ્રતિબંધો માત્ર ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ લાગુ છે.
Post Views: 171











