વસુધૈવ કુટુંબકમ્”ની ભાવનાને હૃદયમાં ધારણ કરતો સનાતન ધર્મ એ વિશ્વની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિ છે. આ ધર્મ માત્ર પરંપરા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે, જેનો પાયો ત્યાગ, સેવા અને સમર્પણ પર રચાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં ‘સંત’ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ એક ચાલતી-ફરતી તીર્થધામ સમાન ચેતના છે. આપણા ભારતવર્ષની પુણ્યશાળી ધરતી પર સનાતન ધર્મ અને સંત પરંપરાનું સ્થાન સર્વોપરી રહ્યું છે.ત્યારે સૌરાષ્ટ્રની સંત પરંપરા અને ધર્મ ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગોહિલવાડના પ્રસિદ્ધ ધામ શ્રી દાનેવ આશ્રમ સણોસરાના સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુને વિધિવત રીતે ‘ભગવતપીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ‘ તરીકેની પદવી એનાયત કરવામાં આવી છે.
દિગ્ગજ સંતોની નિશ્રામાં પદવીદાન સમારોહ
મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજની પાવન નિશ્રામાં આ ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ અને અખાડા પરંપરા મુજબ મહંત શ્રી નિરુબાપુને આ ઉચ્ચ સ્થાન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.
સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો:
-
મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં સંતો-મહંતોએ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજનું ભાવભીનું સન્માન કર્યું.
-
શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર, અમદાવાદ), શ્રી લલિતકિશોરદાસજી મહારાજ (લીંબડી), શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (વૃંદાવન) અને શ્રી મનમોહનદાસજી મહારાજ (રાધે રાધે) દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
શ્રી નિરુદેવાચાર્યજી મહારાજનું વિનમ્ર ઉદબોધન
જગતગુરુના પદ પર બિરાજમાન થયા બાદ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે, “આ પદ મારા ગુરુદેવ શ્રી વલકુબાપુની કીર્તિ અને સેવા પુણ્યના પ્રતાપે મળ્યું છે. સંતોના આશીર્વાદથી મને મળેલ આ ઉચ્ચ પદનો ક્યારેય અહમ્ ન જન્મે અને સેવા કાર્ય ચાલતું રહે તેવી જ પ્રાર્થના છે.”
આધ્યાત્મિક સંગમ: ઉપસ્થિત સંતો-મહંતો
આ મંગલમય પ્રસંગે સિહોરના શ્રી ઝીણારમજી મહારાજ, ભાવનગરના શ્રી ઓલિયા બાપુ, તોરણીયાના શ્રી રાજેન્દ્રદાસજી, આંબલાના શ્રી રવુબાપુ, નેસડીના શ્રી લવજી બાપા સહિત અનેક કથાકારો અને ધર્મ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર સમારોહનું સફળ સંચાલન શ્રી મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લઘુમહંત શ્રી પ્રવિણબાપુ અને આશ્રમ પરિવારના સેવકોએ ખડેપગે સેવા આપી હતી.
Post Views: 111

















