અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં ફૂડ પોઈઝનિંગની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ તરીકે ‘સેવ-ખમણી’ ખાધા બાદ અંદાજે 96 જેટલા ગ્રામજનોની તબિયત અચાનક લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મોડી રાત્રે તબિયત બગડવાની શરૂઆત થઈ
મળતી વિગતો અનુસાર, બુધવારે રાત્રે રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેમાનો અને ગ્રામજનોને અલ્પાહારમાં ‘સેવ-ખમણી’ પીરસવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુરુવારે વહેલી સવારે અચાનક લોકોને ઉલટી, પેટમાં દુખાવો અને ઝાડાની ફરિયાદ થવા લાગી હતી.
જેમ જેમ બીમાર લોકોની સંખ્યા વધવા લાગી તેમ તેમ જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે, કુલ 96 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ રાજપુરા ગામે દોડી ગઈ હતી. ડો. દેસાઈના જણાવ્યા મુજબ:
-
હોસ્પિટલમાં દાખલ કરાયેલા 96 લોકોમાંથી 58 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
-
હાલ 38 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ રાહતની વાત એ છે કે તમામની હાલત સ્થિર છે.
-
સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે ગામના અન્ય 214 લોકોને પણ અગમચેતી રૂપે દવાઓ આપી છે, જેમણે તે રાત્રે નાસ્તો કર્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ
આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરોને જાણ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યક્રમમાં વપરાયેલા ખોરાક અને પાણીના નમૂના લીધા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ શું હતું—ખોરાકમાં ભેળસેળ હતી કે દૂષિત પાણીનો ઉપયોગ થયો હતો.
Post Views: 63











