સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
ખાસ કરીને ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતું ગરનાળું ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં અંદાજે અઢી ફૂટ જેટલું પાણી ભરાતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરાવ્યો હતો.
ગરનાળું બંધ થતાં રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકોને લાંબા ચક્કર મારવાની ફરજ પડી હતી. સ્થાનિક તંત્ર અને મનપાની ટીમો દ્વારા સ્થળ પર પહોંચી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.











