નવસારી: ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી સતત યુદ્ધના ધોરણે ચાલી રહી છે. NDRF, SDRF, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓના સંયુક્ત પ્રયાસોથી અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રે રાતભર બચાવ અભિયાન ચલાવી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત પરિવારો માટે ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવા અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારતીય સેના સહિત તમામ બચાવ દળો અને સ્થાનિક સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોથી રાહત કામગીરીને વધુ વેગ મળ્યો છે. જિલ્લા તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાય પહોંચાડવામાં વ્યસ્ત છે.
વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂર જણાય ત્યારે સ્થળાંતર માટે તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.











