બંગાળની ખાડી: બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ ડૂબી જતાં મોટી માનવિય દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં 500થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
મળતી માહિતી અનુસાર બંને બોટોમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થીઓ સવાર હતા. ખરાબ હવામાન, ઊંચા દરિયાઈ મોજાં અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવાના કારણે બોટો દરિયામાં સંતુલન ગુમાવી ડૂબી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ દરિયાઈ સુરક્ષા દળો અને બચાવ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કેટલાક લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ કામગીરીમાં કોસ્ટ ગાર્ડ, સ્થાનિક નૌકાદળ અને અન્ય રાહત એજન્સીઓ જોડાઈ છે. દરિયામાં સતત શોધખોળ ચાલી રહી હોવાથી મૃતકો અને ગુમ થયેલા લોકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.
દુર્ઘટના બાદ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા અપીલ કરી છે. સત્તાવાર રીતે જાનહાનિનો આંકડો જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે ઘટનાના ચોક્કસ કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.











