કચ્છ: જિલ્લામાં ચોમાસું નબળું રહેતાં વરસાદની અછતના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ ગાઢ બન્યો છે. ઘાસચારાની સંભવિત ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સરહદ ડેરીના ચેરમેન વલમજી હૂંબલે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી છે.
પત્રમાં કચ્છ સુધી રેલવે મારફતે ઘાસચારો પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી પશુધન માટે પૂરતો ચારો ઉપલબ્ધ થઈ શકે. સાથે જ વન વિભાગ પાસે ઉપલબ્ધ ઘાસનો સંગ્રહ રાહતદરે માલધારીઓને વિતરણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં ઘાસ ડેપો શરૂ કરીને નિયત રાહતદરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ પણ ઉઠી છે. પશુપાલકોનું કહેવું છે કે સમયસર વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પશુધન માટે ચારો મેળવવો મુશ્કેલ બની શકે છે.
પશુપાલન કચ્છના ગ્રામ્ય અર્થતંત્રનો મુખ્ય આધાર હોવાથી વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને માલધારીઓને જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ હવે વધુ પ્રબળ બની રહી છે.










