રાજકોટ: શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આજી નદી અને મંદિર પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
અભિયાન હેઠળ આજી નદીના પટમાંથી પ્લાસ્ટિક, ગંદકી, ઝાડઝાંખર અને અન્ય કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. મંદિર આસપાસના રસ્તાઓ અને જાહેર સ્થળોની પણ સઘન સફાઈ કરીને શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચે છે. તેથી સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાઓમાં કોઈ ખામી ન રહે તે માટે તમામ વિભાગોને સક્રિય કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ શહેરના ધાર્મિક સ્થળો અને જાહેર વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન સતત ચાલુ રહેશે.











