ભાવનગરના શહેરના ઘોઘા રોડ પર આવેલ શીતળામાતાનું મંદિર ખૂબ પૌરાણિક છે અને લોકોની શ્રદ્ધા શીતળા માતા સાથે જોડાયેલી છે. શીતળા સાતમના દિવસે તા. 03/09 ને ગુરૂવારના રોજ મોટા શીતળા માતાજી મંદિર ખાતે સવારથી જ માતાજીના દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર વર્ષે ભાતીગર લોકમેળો યોજવામાં આવે છે અને ગ્રામીણ લોકો માટે આ મેળાનું અનેરૂ મહત્વ છે. માતાજીના દર્શન અને શીતળા સાતમના મહોત્સવ દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક અખબારી યાદી દ્વારા સેવા સમિતિના પ્રમુખ ઉદયભાઇ મકવાણા, ઉપપ્રમુખ ભરત મોણપરા તથા અન્ય કારોબારી સભ્યોએ આ વર્ષે દર્શન અને મેળાને લઇ કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી આપી હતી.
વધુમાં જણાવ્યું કે આ લોકમેળામાં આસપાસના ગામડામાંથી પણ અનેક લોકો આવતા હોય તેના માટે કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે આ ભાતીગળ લોકમેળામાં શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ અને શીતળા માતાજીના મંદિર દ્વારા કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી.
આમ શીતળા સાતમના પવિત્ર અને મોટા તહેવારમાં માતાજીના દર્શને આવતા ભક્તોને અસુવિધા ન થાય તે માટે મહોત્સવ સમિતિના દરેક કારોબારી સભ્યો તથા સેવાગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
—x—
અહેવાલ ડો. રોહિત એચ. દવે
Post Views: 0











