પ્રયાગરાજમાં જળબંબાકાર મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો આદેશ

પ્રયાગરાજમાં સતત વરસાદને કારણે સર્જાયેલા જળબંબાકારની સ્થિતિને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પ્રશાસનને 24થી 48 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરી જળબંબાકારની સ્થિતિ દૂર કરવાનો આદેશ આપ્યો છે.

મોરી ગેટ અને દરાગંજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું. ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય માટે આ સ્થિતિ ગંભીર જોખમ ઊભું કરી રહી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

જસ્ટિસ અજીત કુમાર અને જસ્ટિસ ગરિમા પ્રસાદની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે દરાગંજની પાઈપલાઈન મારફતે પાણીનો નિકાલ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે કોર્ટને માહિતી આપી હતી.

કોર્ટે અસરગ્રસ્ત વિસ્તારોને આગામી 24થી 48 કલાકમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્ત કરવા અને તેની સ્થિતિ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમગ્ર કામગીરીની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ સરકારના સ્થાનિક સંસ્થાઓના નિયામક પાસેથી સોગંદનામું પણ માંગવામાં આવ્યું છે. તેમાં પ્રયાગરાજમાં ભવિષ્યમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટેની વિગતવાર કામગીરી અને આયોજન રજૂ કરવાનું રહેશે. આ સોગંદનામું 20 ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સતત વરસાદના કારણે પ્રયાગરાજમાં સર્જાયેલા જળબંબાકારની સ્થિતિ અંગે હાઈકોર્ટે 18 ઓગસ્ટે સ્વમેળે સંજ્ઞાન લીધું હતું. કોર્ટમાં એવી સ્થિતિ પણ સામે આવી હતી કે પાણી ભરાવાના કારણે ન્યાયાધીશો માટે કોર્ટ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી અને સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો હતો.

સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સીલમ સૈન તેજા અને જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્મા કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે જળબંબાકારની સમસ્યાના કાયમી ઉકેલ માટે “વ્યાપક યોજના” તૈયાર કરવામાં આવી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE