જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પર આફત આવી પડી છે. એક તરફ મેઘરાજાએ લાંબી ખેંચ તાણી છે, તો બીજી તરફ મગફળીના પાકમાં આવેલ ભયાનક રોગચાળાને કારણે લીલાછમ ખેતરો સુકાઈને વેરાન બની રહ્યા છે.
મોંઘી દવાઓ નિષ્ફળ, અઢી મહિનાની મહેનત પાણીમાં
-
રોગચાળાનો ત્રાસ: વંથલી તાલુકાના લુસાાળા, થાણાપીપળી અને કાજલિયારા સહિતના ગામોમાં ‘પીરિયા’ અને ‘સુકારા’ નામના ભયાનક રોગે મગફળીના પાકનો સત્યાનાશ વાળી દીધો છે.
-
મૂળનો વિકાસ અટક્યો: અસહ્ય ગરમી અને ભેજના અભાવે અઢી-અઢી મહિનાથી વાવેલી મગફળીના છોડના મૂળનો વિકાસ જ થયો નથી.
-
દવાઓ નકામી નીવડી: પાક બચાવવા ખેડૂતોએ બિયારણ, ખાતર અને રૂ. 30-30 હજાર સુધીની જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
વીઘે ₹15 થી 17 હજારનું નુકસાન, ખેડૂતોની સર્વે અને વળતરની માંગ
-
હાથેથી પાક ઉપાડવાની નોબત: ખેડૂતો પર વીઘે ₹15,000 થી ₹17,000 નું આર્થિક ભારણ આવી પડ્યું છે. સ્થિતિ એટલી દયનીય છે કે ખેડૂતો નાછૂટકે પોતાનો સુકાઈ ગયેલો પાક હાથેથી ઉપાડી ખેતરો સાફ કરી રહ્યા છે. આ ઉખાડેલો પાક ઢોર પણ ખાતા નથી.
-
બીજા વાવેતરની આશા: ખેડૂતો હવે મગ, અડદ કે સોયાબીનના પુનઃ વાવેતર માટે ફરી વરસાદની રાહ જોઈને બેઠા છે.
-
સરકાર સમક્ષ માંગ: જૂનાગઢ જિલ્લાના ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ કરી છે.










