ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી અત્યાધુનિક મિસાઈલનું પરીક્ષણ; અગ્નિ-6 હોવાની અટકળો
નવી દિલ્હી: ભારત આગામી 5 અને 6 ઓગસ્ટે અત્યાધુનિક મિસાઈલનું મહત્વપૂર્ણ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. પરીક્ષણને ધ્યાનમાં રાખીને ભારતે હિન્દ મહાસાગરના 2,530 કિલોમીટર વિસ્તાર માટે NOTAM (Notice to Airmen) જાહેર કરી હવાઈ અને દરિયાઈ અવરજવર માટે વિશેષ ચેતવણી જાહેર કરી છે.
સત્તાવાર માહિતી મુજબ ભારતીય નૌકાદળ દ્વારા સમુદ્ર આધારિત મધ્યમ અંતરની મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન સમુદ્રમાંથી જમીન તેમજ હવામાં ચોક્કસ નિશાન ભેદી શકે તેવી અદ્યતન મિસાઈલ ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે.
આ પરીક્ષણ ઓડિશા કિનારે આવેલા અબ્દુલ કલામ દ્વીપ પરથી યોજાવાનું છે. સુરક્ષા કારણોસર નિર્ધારિત વિસ્તારને તાત્કાલિક પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને તમામ એરલાઈન્સ તથા હવાઈ સંચાલકોને આ વિસ્તાર ટાળવા સૂચના આપવામાં આવી છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે આ પરીક્ષણ અગ્નિ-6 બેલિસ્ટિક મિસાઈલ સાથે સંકળાયેલું હોઈ શકે છે. આશરે 10,000 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-6 ભારતની આગામી પેઢીની વ્યૂહાત્મક મિસાઈલ માનવામાં આવે છે. ભારત અગાઉ સફળતાપૂર્વક અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ પૂર્ણ કરી ચૂક્યું છે અને હવે આ પરીક્ષણ સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ બની શકે છે.











