અમદાવાદ: અમદાવાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. માત્ર સાત કલાકમાં 6 ઇંચ સુધી વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફિકમાં અટવાયો હતો.
બોપલ, સરખેજ, જોધપુર, બોડકદેવ, સાયન્સ સિટી, પ્રહલાદનગર અને એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. અનેક સોસાયટીઓ અને અંડરબ્રિજોમાં પાણી ઘૂસી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ભેદવાડ ખાડી, કૃષ્ણનગર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પોલીસ અને ફાયર વિભાગે સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા, જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન નજીકથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
પેલેડિયમ મોલ નજીક ભારે ટ્રાફિક વચ્ચે મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે અટવાયો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરતાં નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.










