અમદાવાદ: ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ હેઠળ પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 13 દિવસીય યાત્રા 29 ઓગસ્ટ, 2026થી શરૂ થશે અને 10 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થશે. યાત્રા દરમિયાન ગુજરાત અને મધ્ય ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે. યાત્રા માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.
IRCTC પશ્ચિમ ઝોન, અમદાવાદના પ્રાદેશિક મેનેજરના જણાવ્યા મુજબ મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ મળે તે માટે ટ્રેનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક કોચમાં ખાનગી સુરક્ષા ગાર્ડ, CCTV કેમેરા તેમજ ભજન-કીર્તન અને પ્રવાસ સંબંધિત માહિતી માટે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટૂર પેકેજમાં ટ્રેન મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા બેઠક પર જ શુદ્ધ શાકાહારી ભોજન, બસ દ્વારા દર્શન સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની સુવિધા, અનુભવી માર્ગદર્શક અને અકસ્માત વીમા જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુસાફરો માટે ત્રણ કેટેગરીમાં પેકેજ ઉપલબ્ધ કરાયા છે:
- ઈકોનોમી ક્લાસ (સ્લીપર) – રૂ. 24,200
- સ્ટાન્ડર્ડ ક્લાસ (3AC) – રૂ. 40,100
- કમ્ફર્ટ ક્લાસ (2AC) – રૂ. 59,500
યાત્રા માટે EMI સુવિધા (રૂ. 850 પ્રતિ માસથી) પણ ઉપલબ્ધ છે, જે માત્ર ઓનલાઈન બુકિંગ માટે માન્ય રહેશે. ઉપરાંત, સરકારી કર્મચારીઓ માટે LTC સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC Tourismની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વધુ માહિતી માટે અમદાવાદ સ્થિત IRCTC કચેરી, વડોદરા રેલવે સ્ટેશનના IRCTC સુવિધા કેન્દ્ર અથવા સંબંધિત શહેરોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે.
સંપર્ક નંબર:
- રાજકોટ: 9321901851, 9321901852
- અમદાવાદ: 9321901849, 9321901851, 9321901852
- વડોદરા: 7021090837
- સુરત: 7021090498










