આસામ: પૂર્વોત્તર ભારતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. આસામમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં 300 મીટર લાંબો લોખંડનો પુલ તણાઈ ગયો છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને રસ્તાઓ ધસી પડતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
મળતી માહિતી મુજબ, ઘેમાજી જિલ્લાના સિમેન નદી પર આવેલો લોખંડનો પુલ ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે ધરાશાયી થઈ નદીમાં તણાઈ ગયો હતો. વર્ષ 1965માં નિર્માણ પામેલા આ પુલને બાદમાં બ્રોડગેજ રેલવે માટે રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. પુલના એક સ્તંભમાં નુકસાન દેખાતા સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ આ રૂટ પર ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પુલ તૂટી જતાં કેમી જૂના જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં મુખ્ય માર્ગો ધસી પડ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કેપીપાન્યોર જિલ્લામાં અચાનક આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને ત્રણ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પુલના નિર્માણની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે નદીના પ્રચંડ પ્રવાહને ધ્યાનમાં રાખીને અહીં કાયમી કોંક્રીટનો પુલ બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેના બદલે લોખંડની સંરચના ઊભી કરાતા ભારે વરસાદમાં પુલ તૂટી પડ્યો.
પૂર અને ભૂસ્ખલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.











