વડોદરા: વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં દોષિત ઠર્યા બાદ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલા વસાવા સહિત નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. અદાલત દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારાયા બાદ જેલ પ્રશાસને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીઓને જેલમાં દાખલ કર્યા હતા.
કડક પોલીસ સુરક્ષા વચ્ચે આરોપીઓને જેલમાં લાવવામાં આવ્યા હતા. જેલમાં પ્રવેશ બાદ નિયમ મુજબ સૌપ્રથમ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓળખ ચકાસણી, નોંધણી અને કેદી નંબર ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૈતર વસાવાને કેદી નંબર 90888 આપવામાં આવ્યો છે. હવે જેલ રેકોર્ડમાં તેમની ઓળખ આ નંબરથી જ કરવામાં આવશે. અન્ય આરોપીઓની પણ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને જેલના નિયમો અનુસાર બેરેક ફાળવવામાં આવી રહી છે.
જેલ પ્રશાસન દ્વારા આરોપીઓને જેલના નિયમો, શિસ્ત, મુલાકાત વ્યવસ્થા અને દૈનિક કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર તમામ આરોપીઓને અલગ-અલગ બેરેકમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓ સાથે થયેલા વિવાદ દરમિયાન સરકારી કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના આરોપો હેઠળ આ કેસ નોંધાયો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આરોપોને ગંભીર ગણાવી સાત વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે, કારણ કે સજાની અસર ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અને રાજકીય કારકિર્દી પર પડી શકે છે. બીજી તરફ જેલ પ્રશાસન સમગ્ર પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળ વધારી રહ્યું છે.











