ચોમાસામાં જર્જરિત મકાનો નહીં તોડાય, સ્થાનિકોની રજૂઆત બાદ મેયરે આપ્યું આશ્વાસન

સુરત: શહેરમાં જર્જરિત મકાનો સામે હાથ ધરવામાં આવતી કાર્યવાહી અંગે મેયર ડો. નેહલ શુકલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન જર્જરિત જાહેર કરાયેલા મકાનોને તોડવાની કાર્યવાહી હાલ માટે કરવામાં આવશે નહીં.

તાજેતરમાં મનપાની ટીમ જર્જરિત મકાનોને લગતી કાર્યવાહી માટે પહોંચી હતી, ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાના મકાનો જર્જરિત ન હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિકોની રજૂઆત બાદ મેયર ડો. નેહલ શુકલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પ્રશ્નના નિરાકરણ માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તોડફોડની કાર્યવાહી ટાળવામાં આવશે.

મેયરે વધુમાં જણાવ્યું કે જે મકાન માલિકો પોતાના મકાનને જર્જરિત ન હોવાનું માને છે, તેમણે તેના સમર્થનમાં લેખિત ખાતરી અને એફિડેવિટ રજૂ કરવું પડશે. આ દસ્તાવેજોના આધારે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મનપાનો હેતુ માત્ર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સ્થાનિકોની રજૂઆત અને તકનિકી અહેવાલોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

મેયરના નિવેદન બાદ અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. હાલ ચોમાસા દરમિયાન સ્થિતિ યથાવત રાખવામાં આવશે, જ્યારે આગામી સમયમાં જરૂરી તપાસ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE