ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આ વર્ષનો રાષ્ટ્રીય ઉત્સવ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરાયો હતો. વડાપ્રધાને દેશમાં વિકાસના આંકડા રજૂ કરવાની સાથે યુવાનો, સંરક્ષણ, ઉર્જા ક્ષેત્રે મોટી જાહેરાતો કરી હતી અને દેશમાં અરાજકતા ફેલાવતી વિચારધારાઓ સામે લાલ આંખ કરી હતી.
યુવાનો, AI અને પરમાણુ ઉર્જા અંગે મોટી જાહેરાતો
-
1 કરોડ યુવાઓને AI ટ્રેનિંગ: PM મોદીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આગામી એક વર્ષમાં 1 કરોડથી વધુ યુવાનોને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સ્કીલની તાલીમ આપવામાં આવશે તેમજ ફ્રી ઓનલાઈન કોચિંગની સુવિધા અપાશે.
-
પરમાણુ ઉર્જામાં આત્મનિર્ભરતા: દેશને પરમાણુ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે 5 નવા રિએક્ટર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
-
પેટ્રોલ-ડીઝલ અને ખાતરનું આશ્વાસન: દેશમાં ઇંધણ કે યુરિયાની કોઈ અછત નહીં સર્જાય. વૈશ્વિક સ્તરે રૂ. 3000 માં મળતું યુરિયા ભારતના ખેડૂતોને રૂ. 300 માં જ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
છેલ્લા 12 વર્ષની મિશાલરૂપ સિદ્ધિઓ અને ઉત્પાદનમાં વૃદ્ધિ
-
મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ: છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન 4 ગણું, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ 7 ગણું, રેલવે કોચ નિર્માણ 21 ગણું અને મોબાઈલ ફોન ઉત્પાદન 33 ગણું વધ્યું છે.
-
ડિજિટલ અને જનસુવિધા: ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. નળથી જળ કનેક્શન 15 ગણી અને ગેસ કનેક્શન 6 ગણી ઝડપથી આપવામાં આવ્યા છે.
‘દિમાગી નક્સલીઓ’ અને અરાજકતા ફેલાવતા તત્વો સામે ચેતવણી
-
સશસ્ત્ર નક્સલવાદના અંત પછી નવો પડકાર: વડાપ્રધાને જણાવ્યું કે જંગલોમાંથી માઓવાદી હિંસા હવે અંતિમ શ્વાસ લઈ રહી છે, પરંતુ હવે શહેરો, શિક્ષણ સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પર ‘દિમાગી નક્સલીઓ’ સક્રિય થઈ રહ્યા છે.
-
સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ: સીધી બંદૂક ઉઠાવ્યા વિના દેશમાં અસંતોષ, ભ્રમ અને જાતિ-ભાષાના નામે અરાજકતા ઊભી કરતા તત્વોને ઓળખીને સમાજમાંથી અલગ-થલગ કરવા યુવાનોને આહ્વાન કર્યું હતું.
-
વિકસિત ભારત 2047: દેશવાસીઓને મોટા સ્વપ્નો અને ઊંચા સંકલ્પો સાથે આગળ વધી વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.











