મહિલાઓમાં બ્રેસ્ટ હેલ્થ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજકોટમાં વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–રાજકોટ અને ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા. 22 જુલાઈ, 2026ના રોજ “બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમ” યોજાશે.
આ કાર્યક્રમ બુધવાર, સવારે 9:30 વાગ્યે ગુંજન પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો, સમયસર નિદાન, નિયમિત તપાસ અને આધુનિક સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
રાજકોટના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડૉ. અશ્વિની જસાણી મોદી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. તેઓ બ્રેસ્ટ કેન્સર અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી મહિલાઓને સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરશે.
આ ઉપરાંત, આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવના કક્કડ નેચરોપથી, યોગ, સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી દ્વારા સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તેમજ કેન્સરની સારવાર દરમિયાન અને ત્યારબાદ સ્વસ્થ રહેવા અંગે માર્ગદર્શન આપશે.
કાર્યક્રમના આયોજન માટે શ્રી વિઠ્ઠલભાઈ વાઘસિયા સતત પ્રયાસો કરી રહ્યા છે. ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રીમતી સ્પૃહાબેન પટેલે રાજકોટની વધુમાં વધુ મહિલાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આરોગ્ય અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લાભ લેવા અપીલ કરી છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં બ્રેસ્ટ હેલ્થ અંગે જાગૃતિ વધારવી, કેન્સરના લક્ષણોને સમયસર ઓળખવાની સમજણ આપવી અને વહેલી તકે તબીબી સલાહ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
*”સ્વસ્થ નારી… સશક્ત પરિવાર… સુરક્ષિત સમાજ…”*ના સંદેશ સાથે યોજાનારો આ કાર્યક્રમ મહિલાઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.
આયોજક: આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ અને ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશન, રાજકોટ.











