લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આગામી 19 જૂનના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘મહા રોજગાર મેળો’ આયોજિત કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી શરૂ થનારા આ રોજગાર મેળામાં 150થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ અને સંસ્થાઓ ભાગ લેશે. આ મેળાનું આયોજન ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે.
કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન?
-
ઓનલાઈન રજીસ્ટ્રેશન: રજીસ્ટ્રેશન કોડને સ્કેન કરવાથી ઇન્ડિયન યુથ કોંગ્રેસની વેબસાઇટ ખુલશે, જ્યાં ફોર્મ ભરી શકાશે.
-
ઓફલાઈન રજીસ્ટ્રેશન: આ માટે ઓફલાઈન પ્રક્રિયા પણ ઉપલબ્ધ છે.
-
સ્પોટ રજીસ્ટ્રેશન: જો કોઈ યુવાન અગાઉથી રજીસ્ટ્રેશન ન કરાવી શકે, તો તે 19 જૂને સીધા તાલકટોરા સ્ટેડિયમ પહોંચીને સ્થળ પર જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
લાયકાત અને ફી: 10મું પાસ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ યુવાનો પોતાની લાયકાત અનુસાર ઇન્ટરવ્યુ આપી શકે છે. રોજગાર મેળામાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે મફત (નિલશુલ્ક) છે.
સ્થળ પર જ મળશે ઑફર લેટર, હેલ્પલાઇન પણ રહેશે શરૂ
આ મહા રોજગાર મેળાની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે. યોગ્યતાના આધારે યુવાનોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને પસંદગી થવા પર સ્થળ પર જ ‘ઓફર લેટર’ સોંપી દેવામાં આવશે. રોજગાર મેળો પૂરો થયા પછી પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલો હેલ્પલાઇન નંબર એક મહિના સુધી ચાલુ રહેશે. જો કોઈ યુવાનને ઓફર લેટર મળ્યા બાદ જોઈનિંગમાં કોઈ સમસ્યા આવે, તો તેને આ હેલ્પલાઈન દ્વારા ઉકેલવામાં આવશે.
પેપર લીક મામલે મોદી સરકાર પર નિશાન
આ પ્રસંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં બેરોજગારી અને પેપર લીકનો રેકોર્ડ બન્યો છે. અત્યાર સુધીમાં 90થી વધુ પેપર લીક થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે છે, પરંતુ પેપર લીક થઈ જાય છે. આ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પણ આલોચના કરવામાં આવી હતી અને આક્ષેપ કરાયો હતો કે આજે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. તાજેતરમાં અમેરિકન નેવીએ દરિયાઈ જહાજમાં ત્રણ ભારતીયોની હત્યા કરી દીધી, પરંતુ નરેન્દ્ર મોદી “થૅન્ક યુ, થૅન્ક યુ અમેરિકા” કરી રહ્યા છે.
નેતાઓએ જણાવ્યું કે, જો કે કોંગ્રેસ કેન્દ્રની સત્તામાં નથી અને તેઓ કોઈ સરકારી નોકરી આપી શકતા નથી, પરંતુ એક સમસ્યાનો ઉકેલ લાવનારી પાર્ટી હોવાના નાતે તેઓ ખાનગી ક્ષેત્ર (પ્રાઇવેટ સેક્ટર)ના માધ્યમથી યુવાનોને તક આપી રહ્યા છે.
અગાઉના રોજગાર મેળાના આંકડા
આયોજન દરમિયાન અગાઉના મેળાઓના આંકડા શેર કરતા જણાવવામાં આવ્યું કે:
-
દિલ્હી (ગયા વર્ષે): 18,000 રજીસ્ટ્રેશન થયા હતા, જેમાંથી લગભગ 7,000 યુવાનોને રોજગારની તક મળી.
-
જયપુર: 3,000 યુવાનોને નોકરી મળી.
-
પટના: આશરે 10,000 યુવાનોને રોજગાર મળ્યો.
-
સરેરાશ સિલેક્શન રેટ: આ આયોજનોમાં સરેરાશ પસંદગી દર લગભગ 30 ટકા રહ્યો છે.
ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે, દિલ્હી ક્યારેક દેશભરના યુવાનોના સપના પૂરા કરતું હતું, આજે તેનો પોતાનો યુવાન હતાશ છે. ભાજપની ટ્રિપલ એન્જિન સરકારની નીતિઓને કારણે રોજગાર વધવાને બદલે ઘટી રહ્યો છે. દિલ્હીના હજારો લોકોને રોજગારી આપતી 50 વર્ષ જૂની કુટીર અને લઘુ ઉદ્યોગની વ્યવસ્થા સરકારની ખોટી નીતિઓને કારણે બરબાદ થઈ ગઈ છે. દેશ અને દિલ્હીનો યુવા છેલ્લા 45 વર્ષની સૌથી મોટી બેરોજગારીનો સામનો કરી રહ્યો છે. બેરોજગારીની સાથે મોંઘવારી પણ વધી રહી છે. આવા માહોલમાં કોંગ્રેસનો પ્રયાસ યુવાનોને એક નવી આશા આપવાનો છે. ગયા વર્ષે પ્રથમ દિવસે જ અંદાજે 3,500 યુવાનોને સ્થળ પર જ નોકરી મળી હતી, આ વખતે આ આંકડો વધુ મોટો હશે.
Post Views: 0











