રિયો ડી જનેરિયો: બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જનેરિયોમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં આકાશમાં બે હેલિકોપ્ટર પરસ્પર ટકરાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ટક્કર બાદ એક હેલિકોપ્ટર કારના શોરૂમ (ડીલરશિપ) પર ખાબક્યું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરેલી ઘણી ગાડીઓમાં પણ આગ લાગી ગઈ હતી. હાલ આ અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
કાર શોરૂમ પર ખાબક્યું હેલિકોપ્ટર, ગાડીઓ બળીને ખાખ
ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે રિયો ડી જનેરિયોના આકાશમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને હેલિકોપ્ટર શહેરના પશ્ચિમી વિસ્તારમાં તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં બંને હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત નીપજ્યા છે.
રિયો ડી જનેરિયોના મિલિટરી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, એક હેલિકોપ્ટર કારના શોરૂમ પર પડ્યું હતું, જ્યાં ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ (EVs) રાખવામાં આવી હતી. હેલિકોપ્ટર પડવાને કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, હવામાં આ ટક્કર કયા કારણોસર થઈ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર પણ થયું હતું ક્રેશ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) પાકિસ્તાની સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 22 સૈન્ય કર્મચારીઓના મોત થયા હતા.
પાકિસ્તાની સેનાએ એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, બુધવારે PoKના મુઝફ્ફરાબાદ પાસે ‘ઉડાન ભરતી વખતે ટેકનિકલ ખામી’ સર્જાવાને કારણે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.
22 સૈનિકોના થયા હતા મોત બીબીસીની ઉર્દૂ સેવાએ એક સુરક્ષા અધિકારીના હવાલાથી જણાવ્યું કે આ દુર્ઘટનામાં એક કર્નલ અને બે મેજર સહિત 22 સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, ગુરુવારે મૃતકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે તેમના વતન મોકલતા પહેલા ‘નમાઝ-એ-જનાઝા’ પઢવામાં આવી હતી.
Post Views: 0











