ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા માટે એક ભવ્ય ‘અભિનંદન સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શનિવાર, 13 જૂન 2026ના રોજ ફ્લોરિડાના શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે યોજાયો હતો.
સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના દિવ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં સમગ્ર અમેરિકાના અગ્રણી ભારતીય સમુદાયના નેતાઓ અને સેંકડો ભક્તોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ ગૌરવશાળી પ્રસંગે પ્રખ્યાત ઉદ્યોગપતિ ડૉ. કિરણ પટેલ, ગ્લોબલ ડાયલોગ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી બાવા જૈન, BJP USAના પૂર્વ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, અને ટેમ્પા ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) ના વરિષ્ઠ પદાધિકારીઓ શ્રી યશવંત પાઠક, શ્રી નૈનન દેસાઈ, શ્રી ગૌરાંગ વૈષ્ણવ અને શ્રી વિનોદ પટેલ સહિત અન્ય સમુદાયના અગ્રણીઓએ હાજરી આપી હતી.
વક્તાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના મંત્ર, રામ મંદિર નિર્માણ, આર્ટિકલ 370 નાબૂદી, ડિજિટલ ઈન્ડિયા અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારવાના કાર્યોને બિરદાવ્યા હતા.
સદગુરુ શાસ્ત્રીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, “મોદીજીનું જીવન રાષ્ટ્રસેવા અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે સમર્પિત છે. 140 કરોડ ભારતીયોને પરિવાર માનીને ચાલનારા વડાપ્રધાન આપણા સૌ માટે ગૌરવ છે.”કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન અને “ભારત માતા કી જય” ના નાદ સાથે થયું હતું.
અહેવાલ: કનુભાઈ ખાચર
Post Views: 0















