બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમજીવી પરિવાર પર તાજેતરમાં આભ તૂટી પડ્યું હતું. પરિવારના ત્રણ માસૂમ બાળકો છેલ્લા દસ દિવસથી અસહ્ય તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા હતા. બાળકોની હાલત અત્યંત નાજુક થતાં પરિવારજનો તેમને તાત્કાલિક પાલનપુર સ્થિત બનાસ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે લઈ આવ્યા હતા.
PICUમાં તાત્કાલિક દાખલ અને નિષ્ણાંતોની ટીમ કાર્યરત
હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરતા જ બાળકોમાં ગંભીર ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આથી વિલંબ કર્યા વિના બાળકોને તાત્કાલિક PICU (બાળ સઘન સારવાર વિભાગ)માં દાખલ કરવામાં આવ્યા.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબોની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી, જેમાં સામેલ હતા:
-
ડો. આશા પટેલ
-
ડો. સચિન પટેલ
-
ડો. હર્ષિદા પટેલ
-
ડો. વિક્રમ ચૌધરી
-
ડો. મિતુલ ચૌધરી
-
ડો. વરુણ માળી
તપાસમાં બહાર આવ્યું ગંભીર નિદાન
જ્યારે બાળકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાથી તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખી તાત્કાલિક એન્ટિબાયોટિક દવાઓ અને ઇન્જેક્શન શરૂ કરાયા.
-
લાંબા સમયનો ન્યુમોનિયા: લોહીના રિપોર્ટ અને એક્સ-રે કરતાં જાણવા મળ્યું કે ત્રણેય બાળકો લાંબા સમયથી ન્યુમોનિયાના ગંભીર ચેપનો ભોગ બન્યા હતા. જેમાંથી બે બાળકોની સ્થિતિ વધુ બગડતા તેમને સતત ૭ દિવસ સુધી NRBM ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવ્યા હતા.
-
હૃદયના ધબકારા ઘટ્યા: સારવાર દરમિયાન એક બાળકના ધબકારા અચાનક ચિંતાજનક રીતે ઘટી ગયા. તબીબોએ તુરંત જ ઈસીજી (ECG), CK-MB અને 2D ઈકો (2D Echo) ટેસ્ટ કર્યા.
-
વાયરલ માયોકાર્ડાઇટિસ: તપાસમાં બહાર આવ્યું કે વાયરસના કારણે બાળકના હૃદયના સ્નાયુઓમાં ગંભીર સોજો આવી ગયો હતો, જેને તબીબી ભાષામાં “વાયરલ માયોકાર્ડાઇટિસ” કહેવાય છે.
ત્વરિત એક્શન: આ ગંભીર નિદાન થતાં જ તબીબોએ સમય ગુમાવ્યા વિના સ્ટેરોઇડ અને IVIG (ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન) જેવી અત્યંત મોંઘી અને અદ્યતન સારવાર શરૂ કરી દીધી.
10 દિવસની જંગ બાદ ખુશીના આંસુ
તબીબોની ટીમ અને નર્સિંગ સ્ટાફના સતત ૨૪ કલાકના મોનિટરિંગ, સઘન સારવાર અને અથાક પ્રયાસોના પરિણામે ચમત્કાર સર્જાયો. બાળકોની તબિયતમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો થયો. સતત 10 દિવસની લાંબી લડત બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગરીબો માટે આશીર્વાદરૂપ બની સિવિલ હોસ્પિટલ
ખાનગી હોસ્પિટલોમાં જે સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તે તમામ અત્યંત આધુનિક સારવાર બનાસ સિવિલ હોસ્પિટલમાં આ શ્રમજીવી પરિવારને તદ્દન મફત (નિઃશુલ્ક) પૂરી પાડવામાં આવી. પોતાના વહાલસોયા બાળકોને મોતના મુખમાંથી પાછા ફરેલા જોઈને પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમણે ભીની આંખે તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ આજે સામાન્ય અને ગરીબ દર્દીઓ માટે સાચા અર્થમાં ‘દેવદૂત’ અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
Post Views: 31











