મેદસ્વીતા (Obesity) ને લાંબા સમય સુધી માત્ર વધતા વજન અને શારીરિક દેખાવ સાથે જોડાયેલી સમસ્યા માનવામાં આવતી હતી. પરંતુ હવે આરોગ્ય નિષ્ણાતોએ તેને ઘણી ગંભીર બીમારીઓના મૂળ કારણ તરીકે ઓળખાવી છે. નવી હેલ્થ ગાઇડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મેદસ્વીતા માત્ર એક જોખમી પરિબળ નથી. પરંતુ હૃદય રોગ (Heart Disease), કિડની સંબંધિત બીમારીઓ (Kidney Diseases) અને મેટાબોલિક વિકારો (Metabolic Disorders) નું મૂળ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, વધતું વજન શરીરના વિવિધ અંગો પર એકસાથે અસર કરે છે અને સમય જતાં સ્વાસ્થ્યની ઘણી જટિલ સમસ્યાઓને જન્મ આપે છે.
નવી ગાઇડલાઇન અનુસાર, શરીરમાં જમા થતી વધારાની ચરબી, ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી, સામાન્ય વજન વધવા કરતાં ક્યાંય વધુ ખતરનાક હોય છે. આ ચરબી શરીરની અંદર સતત સોજો (inflammation) પેદા કરી શકે છે અને ઘણી મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે. તેના કારણે ઇન્સ્યુલિનની અસર ઓછી થવા લાગે છે, રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે અને શરીરની કુદરતી સંતુલન પ્રણાલી પર નકારાત્મક અસર પડે છે.
વિસેરલ ફેટ (આંતરિક ચરબી) નું જોખમ
નિષ્ણાતોનું કહેવું છે કે, પેટની અંદર અંગોની આસપાસ જમા થતી ચરબી, જેને વિસેરલ ફેટ (Visceral Fat) કહેવામાં આવે છે.તે સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો બની શકે છે. આ ચરબી એવા રસાયણો છોડે છે જે શરીરમાં સતત સોજાને પ્રોત્સાહન આપે છે. આ જ પરિસ્થિતિ ધીમે-ધીમે ‘ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ’ નું કારણ બને છે. જેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આ સાથે જ હૃદય પર દબાણ વધે છે અને કિડનીની કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે.
ચરબીનું વિતરણ અને વજનનું ગણિત
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, મેદસ્વીતાની અસરને માત્ર વજન માપવાના મશીનના આંકડાઓથી સમજી શકાતી નથી. ઘણીવાર સરખું વજન ધરાવતી બે વ્યક્તિઓની સ્વાસ્થ્યની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. તેનું કારણ શરીરમાં ચરબીના વિતરણ (distribution) નો તફાવત છે. જો ચરબી મુખ્યત્વે પેટ અને આંતરિક અંગોની આસપાસ જમા થઈ રહી હોય, તો બીમારીનું જોખમ ઘણું વધી જાય છે. ભલે તે વ્યક્તિ સામાન્ય રીતે સ્વસ્થ દેખાતી હોય.
ભારતના સંદર્ભમાં સ્થિતિ વધુ ગંભીર
ભારતના સંદર્ભમાં આ ચેતવણી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દેશમાં મેદસ્વીતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બદલાતી જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, અનિયમિત ખાનપાન અને વધતા તણાવે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો સમયસર મેદસ્વીતા પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં હૃદય અને કિડનીના રોગોનો બોજ વધુ વધી શકે છે.
કાર્ડિયોવેસ્ક્યુલર-કિડની-મેટાબોલિક સિન્ડ્રોમ
ગાઇડલાઇનમાં કાર્ડિયોવેસ્ક્યુલર-કિડની-મેટાબોલિક સિન્ડ્રોમ (Cardiovascular-Kidney-Metabolic Syndrome) ની વિભાવના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત હૃદય, કિડની અને મેટાબોલિક સ્વાસ્થ્યને એકબીજા સાથે જોડાયેલા માનવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે, મેદસ્વીતા અવારનવાર આ ચક્રની શરૂઆત કરે છે.જે બાદ એક બીમારી બીજી બીમારીને જન્મ આપતી જાય છે. તેથી માત્ર કોઈ એક રોગની સારવાર પૂરતી ગણી શકાય નહીં, પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય તંત્રને ધ્યાનમાં રાખીને અટકાવ અને સારવારની વ્યૂહરચના અપનાવવી પડશે.
બચાવના ઉપાયો અને સંદેશ:
નિષ્ણાતોનું કહેવું છે કે, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સક્રિય જીવનશૈલી અપનાવીને મેદસ્વીતાના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. સમય-સમય પર હેલ્થ ચેકઅપ કરાવવું અને પેટના વધતા ઘેરાવા પર ધ્યાન આપવું પણ જરૂરી છે. નવી ગાઇડલાઇનનો મુખ્ય સંદેશ એ જ છે કે, મેદસ્વીતાને હળવાશથી લેવાને બદલે એક ગંભીર સ્વાસ્થ્ય પડકાર તરીકે જોવામાં આવે, કારણ કે આ જ સમસ્યા આગળ જતાં ઘણી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
Post Views: 0











