દેશમાં વ્યવસાય (Business) અને સામાન્ય જીવનને વધુ સરળ બનાવવાના હેતુથી લાવવામાં આવેલા ‘જન વિશ્વાસ (જોગવાઈઓનું સુધારા) વિધેયક 2026’ ને ગુરુવારે રાજ્યસભાએ ધ્વનિમતથી મંજૂરી આપી દીધી છે. લોકસભામાં આ બિલ એક દિવસ પહેલા જ પસાર થઈ ગયું હતું. આ વિધેયક દ્વારા સરકાર 79 કેન્દ્રીય કાયદાઓની કુલ 784 જોગવાઈઓમાં સુધારો કરવા જઈ રહી છે.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નાની-મોટી ભૂલોને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢવી, દંડની વ્યવસ્થાને તર્કસંગત બનાવવી અને ભયને બદલે વિશ્વાસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન
ચર્ચાનો જવાબ આપતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ કાયદાનો ઉદ્દેશ્ય ‘કલ્ચર ઓફ ટ્રસ્ટ’ એટલે કે વિશ્વાસની સંસ્કૃતિ સ્થાપિત કરવાનો છે, જે ભય પર નહીં પરંતુ કર્તવ્ય અને વિશ્વાસ પર આધારિત હશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે:
-
આ કાયદો લોકોને સુધરવાની તક આપે છે.
-
નાની ભૂલો પર પહેલા ચેતવણી, બીજી વાર દંડ અને ગંભીર ભૂલ પર જ કડક કાર્યવાહીની જોગવાઈ છે, જેને ‘તબક્કાવાર કાર્યવાહી’ કહેવામાં આવી છે.
-
દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 500 થી વધીને 3 લાખથી વધુ થઈ ગઈ છે. યુવા ઉદ્યમીઓથી નાની ભૂલો થઈ શકે છે, તેમને સજા આપવાને બદલે પ્રોત્સાહન આપવું જોઈએ.
વિધેયકની મુખ્ય જોગવાઈઓ
સરકારે દંડ અને સજાની જોગવાઈઓમાં મોટા ફેરફારો કર્યા છે:
-
57 જોગવાઈઓ: જેલની સજા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી.
-
158 જોગવાઈઓ: દંડની જોગવાઈ હટાવી દેવામાં આવી.
-
17 જોગવાઈઓ: જેલની સજાના સમયગાળામાં ઘટાડો કરાયો.
-
113 જોગવાઈઓ: જેલની સજાને બદલે માત્ર દંડની જોગવાઈમાં રૂપાંતરિત કરવામાં આવી.
આ ફેરફારો મોટર વ્હીકલ એક્ટ, દિલ્હી મ્યુનિસિપલ એક્ટ, બેંકિંગ, વીમો, પેટેન્ટ, વીજળી અને રેલ્વે જેવા મહત્વના કાયદાઓમાં લાગુ થશે.
ખાસ નોંધવા જેવી બાબતો
-
નકલી દવાઓ પર કડકાઈ: નકલી દવાઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને આયાત પર કોઈ છૂટ આપવામાં આવી નથી. તેની સજા પહેલાની જેમ જ કડક રહેશે.
-
કોર્ટના આંટાફેરા ઘટશે: લગભગ 1,000 જેટલી નાની-મોટી ભૂલો માટે હવે લોકોને અદાલતમાં જવું પડશે નહીં.
-
વિકસિત ભારતનો પાયો: સરકારનું માનવું છે કે આ બિલ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે અને નાગરિકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.
Post Views: 0











