જિ.પ.ની કારોબારીનો નિર્ણય, 15 ગામોના ડામર કામો અટક્યા, તમામ રીટેન્ડર કરાશે
જામનગર જિલ્લામાં ધોલ તાલુકા ઈટાળા ગામે ગત ઓગસ્ટ માસમાં પંચાયતના અધિક મદદનીશ ઈજનેર ઉપર હુમલાની ઘટના બાદ રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા જે પેઢીની નોંધણી ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવી છે. તે સ્વસ્તિક નામની પેઢીના જામનગર જિલ્લામાં ચાલતા 15 કામોને પણ જે તે સ્થિતિએ સ્થગિત કરવા કારોબારી સમિતિમાં નિર્ણય લેવાયો છે. આ ડખ્ખાને કારણે ગામડાના રસ્તાના કામો ડબ્બે ચડી ગયા છે.
રાજય સરકારે નોંધણી સ્થગિત કરેલી સ્વસ્તિક નામની કોન્ટ્રાક્ટર પેઢીના હાલ જિલ્લા પંચાયતના બાંધકામ ખાતાના માર્ગ-મકાન વિભાગ હસ્તકના ચાલતા જામનગર તાલુકાના બાયપાસથી ખીમરાણા,ધુતારપર-સુમરી- ખારાવેઢા-પીઠડીયા રોડ, જામવંથલીથી ઉંડ-1 ડેમ એપ્રોચ રોડ, ધ્રોળના ઈટાળા- રાજપર -સુમરા રોડ, કાલાવડના મકાજીમેઘપર- વિભાણીયા, લલોઈથી મોટી ભગેડી, બાંગા-સરપદડ, નાનીવાવડી- લક્ષ્મીપુર-ગોવાણીયા, રવશીયા- હંસ્થળ-રામપર, ફગાસ-ભંગડા, ધુનધોરાજી, ખીમાણી સણોસરા- મોટાભાડુકીયા, પ્રગટેશ્વર-સ્ટેટ હાઈવે, મંગલપુરથી હાઈવેના રસ્તાના કામોને સ્થગિત કરવા કારોબારી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવતા હાલ આ રસ્તાના કામો જે તે સ્થિતિમાં જ રહેશે.
તંત્ર દ્વારા આગામી દિવસોમાં ટેન્ડરો કરવામાં આવશે, ત્યાર બાદ આ રસ્તાના કામો ચાલુ થશે. આમ એક ડખ્ખાને કારણે સંખ્યાબંધ ગામોને જોડતા રસ્તાના કામો પણ ડબ્બે ચડી ગયા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે.