રાજકોટ: શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાન હેઠળ માલવીયાનગર પોલીસે મારામારીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા બે હિસ્ટ્રીશીટર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એ. બ્લોચ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આર્યન કિરણ મારુ (ઉ.વ. 19), રહે. સર્વોદય સોસાયટી, નવા થોરાળા તેમજ મિલન દીપકભાઈ પરમાર (ઉ.વ. 20), રહે. કૃષ્ણા પાર્ક, નવા થોરાળાને તેમના રહેઠાણેથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મારામારીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સફળ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ જીલરિયા, કુલદીપસિંહ ગોહિલ, અમિતસિંહ સોલંકી, સારંગભાઈ ઓગાણિયા, નિતેશભાઈ બારૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનસુરશા શાહમદાર, રણજીતભાઈ પરસોતમભાઈ અને વિમલભાઈ જીવણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.










