મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે મધરાત્રે આવેલા ભૂકંપના સતત ચાર આંચકાઓએ મરાઠવાડા વિસ્તારના લોકોને ભયભીત કરી દીધા હતા. નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં બે કલાકથી પણ ઓછા સમયમાં ચાર વખત ધરતી ધ્રૂજતાં લોકો ઊંઘમાંથી જાગીને સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા.
ભૂકંપ નિરીક્ષણ કેન્દ્રના પ્રાથમિક અહેવાલ મુજબ, રાત્રે 1:37 વાગ્યાથી 3:23 વાગ્યા દરમિયાન ચાર આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6થી 4.6 વચ્ચે નોંધાતા અનેક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પ્રથમ આંચકો સિરણી-પાંગરા શિંદે ગામ નજીક અનુભવાયો હતો. ત્યારબાદ 2:15 વાગ્યે કકડધાબા ગામ પાસે 3.6ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો. થોડા જ મિનિટોમાં વધુ બે આંચકા અનુભવાતા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આવી ગયા હતા.
ભૂકંપ બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે મોટા પાયે મિલકતને નુકસાન થયાની સત્તાવાર માહિતી સામે આવી નથી.
ભારે વરસાદ વચ્ચે ભૂકંપના આંચકાઓ અનુભવાતા અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જોકે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.










