વડોદરા: મધ્ય ગુજરાત સ્થિત VGRC ખાતે ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર ભવ્ય સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
સેમિનાર દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની ચાર અગ્રણી કંપનીઓએ રાજ્યમાં કુલ ₹2,550 કરોડના રોકાણ માટે સમજૂતી કરારો (MoU) કર્યા હતા. આ રોકાણથી ગુજરાતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની સાથે નવા ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રજૂ કરાયેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી 4 હજારથી વધુ સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. સાથે જ સ્થાનિક MSME ઉદ્યોગો, સપ્લાય ચેઇન અને કુશળ માનવબળને પણ તેનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે સશક્ત રાજ્યની ભાગીદારી ભારતને વૈશ્વિક એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.











