રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી પંચમહાલ અને દાહોદ સરહદી વિસ્તારના છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. PHC સરસવા અંતર્ગત સબ-સેન્ટર (SC) બલૈયા ખાતે ભવ્ય ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિબિરમાં કાર્યરત અદ્યતન ‘પોર્ટેબલ એક્સ-રે યુનિટ’ની રૂબરૂ મુલાકાત લઈને આરોગ્ય વિભાગની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીને પોર્ટેબલ એક્સ-રે યુનિટની આધુનિક કાર્યપદ્ધતિ, ડિજિટલ સ્ક્રીનિંગ અને ટીબી (TB) તેમજ શ્વસન રોગોના ત્વરિત નિદાનની પ્રક્રિયા અંગે ફરજ પરની આરોગ્ય ટીમ દ્વારા વિગતવાર તકનીકી માહિતી આપવામાં આવી હતી. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના નાગરિકોને મોટી હોસ્પિટલો સુધી ધક્કા ખાધા વિના ગામમાં જ આવી અદ્યતન ટેકનોલોજીનો લાભ આપવા બદલ મંત્રીશ્રીએ આરોગ્ય ટીમની સરાહનીય કામગીરીને ખુલ્લા મનથી બિરદાવી હતી.
શિબિરમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ટીબી અને શ્વાસને લગતી બીમારીઓનું જો પ્રારંભિક તબક્કે જ નિદાન થઈ જાય તો તેની સારવાર અત્યંત સરળ અને અસરકારક બને છે. તેમણે સ્થાનિક નાગરિકોને કોઈપણ ખચકાટ વિના સ્થળ પર જ ઉપલબ્ધ નિઃશુલ્ક એક્સ-રે સુવિધાનો મહત્તમ લાભ લેવા અને જાગૃત બનવા અપીલ કરી હતી.
આ જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉમટેલા સ્થાનિક લાભાર્થીઓએ ઓન-ધ-સ્પોટ એક્સ-રે સહિતની વિવિધ નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ લીધો હતો. પંચાયત અને આરોગ્ય વિભાગના આ સંયુક્ત અને સબળ પ્રયાસથી ગ્રામીણ સ્તરે આરોગ્ય પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવશે અને ‘ટીબી મુક્ત ભારત’ના રાષ્ટ્રીય અભિયાનને સ્થાનિક સ્તરે મોટો વેગ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ
Post Views: 0











