દિલ્હીથી લખીમપુર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પીલીભીત-પૂરનપુર હાઈવે પર અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં આવેલી ખાઈમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર લખીમપુર અને બહરાઈચ જિલ્લાના 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા .જેમને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ, ખાનગી ટ્રાવેલ કંપનીની આ બસ લખીમપુર અને બહરાઈચ જિલ્લાના અંદાજે 35થી 40 મુસાફરોને લઈને દિલ્હીથી રવાના થઈ હતી. સોમવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ, ગજરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના કૈંચ ગામ પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટતાની સાથે જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોએ જાતે બહાર નીકળીને અન્ય ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા મુખ્ય મુસાફરોમાં પારુલ (25, બહરાઈચ), બાનો (50, બહરાઈચ), ચાર વર્ષીય દ્રષ્ટિ, નેપાળની લક્ષ્મી, લખીમપુર ખેરીનો સની (18) અને અજય સહિત 15 લોકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ મુસાફરોના પગ કપાઈ ગયા.. જ્યારે અન્ય મુસાફરોને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુસાફરોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો.જેના કારણે તેણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને આ મોટી દુર્ઘટના સર્જાઈ. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.
Post Views: 0











