સૌરાષ્ટ્રની જનતાને લાંબા રૂટની ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે રેલવે મંત્રીએ અમદાવાદથી દોડતી છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ છમાંથી ચાર ટ્રેનોને લંબાવવાની પ્રક્રિયામાં ગત ઓગષ્ટ માસમાં રીમાન્ડ થયા બાદ આ ટ્રેનોને હાલ પુરતી સ્થગીત કરવામા આવી હોવાનુ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાઓના પ્રવાસીઓને રેલવે સેવાનો વધુ લાભ મળે તે માટે રેલવે મંત્રીએ અમદાવાદથી ઉપડતી છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ દોઢ વર્ષ બાદ છમાંથી ચાર ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. જેમા ટ્રેન નં.19413/14 અમદાવાદ-કટરા, 11049/50 કોલ્હાપુર એકસપ્રેસ, 19421/22 અમદાવાદ-પટના અને 22138/37 પટના એકસપ્રેસ સાપ્તાહિક ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટથી દોડાવવાની જાહેરાત થતા જે તે સમયે સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા આ અંગે સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને રેલસેવાનો ટૂંક સમયમાં લાભ મળશે તેની જાણકારી મીડીયા મારફત આપી હતી.
ગત ઓગષ્ટ માસમાં મુંબઈ રેલવે ડીવીઝન દ્વારા આ ટ્રેનો શરૂ કરવા અમદાવાદ, રાજકોટ રેલવે ડીવીઝનને રીમાન્ડ મોકલતા આ ચાર સાપ્તાહિક ટ્રેનો દોડતી થાય તેવા સંજોગો ઉજળા બન્યા હતા પરંતુ સૌરાષ્ટ્રની જનતાને અન્યાય થતો હોય તેમ આ ચાર સાપ્તાહિક ટ્રેનો શરૂ થવાના હજુ કોઈ એંધાણ નથી. આ ટ્રેનો શરૂ કરવા અંગે તાજેતરમાં અમદાવાદ ખાતે સાંસદોની મળેલી બેઠકમાં પણ આ ચાર ટ્રેનો શરૂ કરવા બાબતે કોઈ ફળશ્રુતીરૂપ પરિણામ આવ્યુ નહતુ.
રાજકોટ ડીવીઝનને મળનારી ચાર નવી ટ્રેનોને હાલ સ્થગીત કરવામા આવી હોવાની ચર્ચાથી આગામી દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં લાંબા અંતરની ટ્રેનોનો લાભ પ્રવાસીઓને મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યુ છે.
રેલવે મંત્રીની જાહેરાત બાદ સાંસદોની મથામણ બાદ પણ હજુ સુધી ચાર ટ્રેનો શરૂ કરવા બાબતે રેલવે તંત્રની કોઈ તૈયારી કે તજવીજ નહી થતા આ સેવા બાબતે હવે ચૂંટાયેલ સાંસદોએ જ આ દિશામાં વધુ આગળ વધવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
હવે રજુઆત કોણ કરશે? રેલ્વે સલાહકાર સમિતિની ટર્મ પણ બે માસથી પૂર્ણ
છેલ્લા છ માસથી સમિતિની બેઠક યોજાઈ નથી: હવે આગામી જાન્યુઆરીથી નવી ટર્મની રચના
રાજકોટ તા.21
રેલવે સેવાનો લાભ સાથે ઉતમ પ્રકારની રેલ સુવિધા મુસાફરોને મળી રહે તે માટે રેલવે તંત્રના તમામ ડીવીઝનોમા રેલવે સલાહકાર સમિતિમા મેમ્બરોની પસંદગી કરવામા આવે છે. જાન્યુઆરીથી બે વર્ષ માટે સમિતિમાં સલાહકાર મેમ્બરોની વરણી કરવામા આવે છે. દર 4 માસે ડીઆરએમ સાથે સમિતિની બેઠક યોજાતી હોય છે જેમાં રેલવેની સેવા, સમસ્યા, ટ્રેનોના રૂટ, પ્લેટફોર્મની માળખાકીય સુવિધા સહિતના પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા સાથે જરૂરી સુવિધાઓનો અમલ પણ થતો હોય છે.
રાજકોટ રેલવે ડીવીઝનમાં રેલવે સલાહકાર સમિતિની ગત જૂન માસમાં જ મુદત પૂર્ણ થતા હવે આગામી જાન્યુઆરી સુધી કોઈ બેઠક યોજાઈ તેવી શકયતા નથી ત્યારે રાજકોટને 4 નવી સાપ્તાહિક ટ્રેનો વહેલી તકે મળે તે માટેના પ્રશ્ર્નોની કોણ રજુઆત કરશે? તેવો વેધક સવાલ ઉઠયો છે.
જિલ્લાવાઈઝ રેલવે પેસેન્જર એસો. પણ કાર્યરત છે પરંતુ તેઓની રજુઆતોના ધાર્યા પરિણામ આવતા હોતા નથી. નવી ટ્રેનો શરૂ કરાવવા ચૂંટાયેલા સાંસદ સમક્ષ હોય તેઓ દ્વારા થતી રજુઆત રેલવે મંત્રાલય ધ્યાને લેતુ હોય રાજકોટને મળેલી ચાર નવી ટ્રેનો માટે હવે સાંસદે જ ઝઝુમવુ પડશે તે નિર્વિવાદ સત્ય છે.
રેલસેવાના વ્યાપ બાબતે ચેમ્બર-વેપારી સંગઠનનુ મૌન
સમયાંતરે રેલ, હવાઈ, વીજળી સહિતના પ્રશ્ને અવાજ ઉઠાવતા વેપારીઓ નવી ટ્રેનો બાબતે નિંદ્રાધીન કેમ?
રાજકોટ તા.21
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને અમદાવાદથી ઉપડતી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવી દોડાવવાની રેલવે મંત્રીની જાહેરાતને જે તે સમયે સાંસદો અને વેપારી સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની અનેકવિધ સંસ્થાઓએ સહર્ષ આવકારી રેલવે મંત્રીના નિર્ણય બિરદાવ્યો પણહતો.
સમય જતા આ છ ટ્રેનોમાંથી ચાર સાપ્તાહિક ટ્રેનોને લંબાવવાનો નિર્ણય સાંસદ તરફથી સામે આવ્યો તે સમયે બે ટ્રેનોનો કાપ શા માટે? તે બાબતે વેપારી સંગઠનો તરફથી કોઈ અવાજ કે રજુઆતો થઈ નહી છેલ્લે ચાર સાપ્તાહિક ટ્રેનો અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત બાદ હજુસુધી આ ટ્રેનો શરૂ નહી થતા આ બાબતે પણ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય વેપારી સંગઠનોએ કેમ મૌન ધારણ કર્યું? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.