ચોમાસુ હવે વિદાય લેવાના આરે છે અને નવી ખરિફ સિઝનના શ્રીગણેશ થવા લાગ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું 40 લાખ ટન જેટલું ચિક્કાર-રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો પ્રાથમિક અંદાજ મુકવા લાગ્યા છે. આ સંજોગોમાં નવી સિઝનમાં સીંગતેલના ભાવ કેવા રહેશે તેના પર મીટ મંડાવા લાગી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરી હોવા છતાં તે હળવો કે મધ્યમ જ રહેવાની શક્યતાથી કૃષિ ક્ષેત્રે કોઇ નુકશાન થવાની ચિંતા ઉભી થાય તેમ નથી. આ સંજોગોમાં કૃષિ બજારના નિષ્ણાંતોએ પાક સર્વેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ્સ એન્ડ ઓઇલસીડઝ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે કહ્યું કે હવે કોઇ લડાયક કે ભારે વરસાદની સંભાવના દેખાતી નથી જ્યારે મગફળીના પાકનું ચિત્ર ઉજજવળ જ જણાય રહ્યું છે.
ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય તેટલો રેકોર્ડબ્રેક મગફળીનો પાક થવાનું પ્રાથમિક અનુમાન છે. 19.1 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. સારો વરસાદ થયો હોવાનો રીપોર્ટ છે. સંસ્થા આવતા એક પખવાડિયામાં સતાવાર અંદાજ જાહેર કરશે.
પરંતુ અત્યારના પ્રાથમિક અનુમાનમાં આંકડો 40 લાખ ટન રહી શકે છે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં સૌથી મોટું ઉત્પાદન અંદાજાય છે. ભૂતકાળમાં ક્યારેય મગફળીનો આટલો મોટો પાક થયો નથી. આ વખતે રેકોર્ડ સર્જાય શકે છે. દેવ ભૂમિ દ્વારકા-ઘેડ પંથકમાં થોડું ઘણું નુકસાન છે છતાં કોઇ નોંધપાત્ર નથી.
સૌથી જુના સંગઠન ‘સોમા’ના અગ્રણી ઉકાભાઇ પટેલે કહ્યું કે સર્વે કાર્યવાહી ચાલુ છે. છતાં પ્રાથમિક રીતે ઓછામાં ઓછો 35 લાખ ટનનો પાક નિશ્ચિત છે. સર્વે પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
જાણીતા કોમોડીટી બ્રોકર ડાયાભાઇ કેસરીયાએ વાતચીતમાં કહ્યું કે હાલના તબકકે 40થી 45 લાખ ટનનો પાક અંદાજાય છે. સર્વત્ર ઉતારા સારા છે અને અત્યાર સુધી ક્યારેય ન થયું હોય તેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે.
મગફળીના મબલખ ઉત્પાદનના અંદાજ વચ્ચે સીંગતેલના ભાવના મુદ્દે પણ અટકળો વ્યકત થવા લાગી છે. જાણકારોના કહેવા પ્રમાણે જંગી ઉત્પાદન છતાં સીંગતેલના ભાવમાં કોઇ મોટો ઘટાડો શક્ય નથી. કારણ કે સાઇડ તેલોના ભાવના લેવલ ઉંચા થઇ ગયા છે. કેન્દ્ર સરકારે આયાત જકાત વધારતા પામોલીન, સોયાબીન, સનફ્લાવર, કપાસિયા, રાયડા તેલ સહિતના સાઇડ તેલોમાં ધરખમ ભાવવધારો થયો છે.
આ કારણથી સીંગતેલમાં ભાવ ઘટાડો શક્ય ન બને તેમ મનાય છે. સીંગતેલ તથા સાઇડ તેલો વચ્ચે ભાવનું અંતર ઘટી શકે છે. પામોલીનમાં હજુ વધુ તેજી અંદાજાતી હોવાથી ભાવફેર વધુ ઓછો થઇ શકે છે.