તાજમહેલના સેન્ટ્રલ ડોમની આરસની દીવાલ પર છોડ ઉગી રહ્યો છે જેથી સ્મારકની જાળવણી કરનારાઓમાં આ અંગે ચિંતા પ્રસરી છે. એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો તેમાં ગુંબજની ઉત્તરી બાજુએ આરસના પથ્થરો વચ્ચે એક છોડ ઉગેલો જોવા મળ્યો હતો.
આ ઘટનાથી સ્મારકના સંરક્ષણ કરનારાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે. ટુરિસ્ટ ગાઈડ ફેડરેશન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ શકીલ ચૌહાણે કહ્યું કે “ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તાજમહેલની જાળવણી માટે વાર્ષિક 4 કરોડનો ખર્ચ કરે છે. આવી તસવીરો સ્મારકની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે.” તેમણે વરસાદની મોસમ પછી ઝડપથી સંરક્ષણ કાર્ય કરવા માટે કહ્યું હતું.
અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, તાજની દિવાલો પરનાં તમામ છોડ ઓગસ્ટમાં દૂર કરવામાં આવ્યાં હતાં. “આ છોડ છેલ્લા 15 દિવસમાં દેખાયો છે અને તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે,” તેમણે જણાવ્યું હતું.
એક નિવૃત્ત એએસઆઈ અધિકારીએ જણાવ્યું કે છોડનાં વિકાસથી તાજ પર અસર થઈ છે. જો છોડનાં મૂળને દૂર કરવામાં ન આવે તો તે માળખાકીય નુકસાનનું કારણ બની શકે છે.
તાજમહેલના શિલ્પગ્રામ પાર્કિંગની જગ્યામાં મંગળવારે એક શૌચાલયની છત ભારે વરસાદને કારણે તૂટી પડી હતી, જોકે કોઈને ઈજા થઈ ન હતી.આ પહેલાં અકબરની સમાધિ પર 400 વર્ષ જૂના સોનેરી ભીંતચિત્રોને નુકસાન થયું હતું, જેનાં પગલે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એએસઆઈની ટીકા કરી હતી.
અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “એએસઆઈને 2023-24 ના બજેટમાં સ્મારક સંરક્ષણ માટે 551 કરોડ ફાળવવામાં આવ્યાં હતાં. તેઓએ આ ભંડોળનો ઉપયોગ સ્મારકોની સુરક્ષા માટે કેમ ન કર્યો ?