રાજકોટ (ગોંડલ): ખેતરોમાં ઊભા કરાયેલા વીજ પોલ (વીજળીના થાંભલા)ના કારણે ખેતીકામમાં પડતી ભારે હાલાકીનો હવે વહેલી તકે અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલા ખેડૂતોના એક વિશાળ સંમેલનમાં રાજ્યના કૃષિમંત્રીએ ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ખેડૂતોની વર્ષો જૂની આ માગણી મુદ્દે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર આ સમસ્યાના કાયમી અને સચોટ ઉકેલ માટે સક્રિયપણે વિચારણા કરી રહી છે.
🚜 “ખેડૂતોની વેદના સરકાર સમજે છે, વિશ્વાસ રાખો વહેલી તકે તોડ નીકળશે”: કૃષિમંત્રી
ગોંડલના કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિમંત્રીએ ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે મૌન તોડતા જણાવ્યું હતું કે, જગતના તાતને ખેતીકામમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. ખેતરોની વચ્ચે વીજ પોલ હોવાને કારણે ટ્રેક્ટર ચલાવવામાં, વાવણી કરવામાં કે પાક લણતી વખતે ખેડૂતોને જે અવરોધો અને નુકસાન વેઠવું પડે છે.તેનાથી સરકાર પૂરેપૂરી વાકેફ છે.
તેમણે સંમેલનમાં હાજર તમામ ખેડૂતોને હૈયાધારણ આપતા મક્કમતાપૂર્વક કહ્યું કે, “જે રીતે ખેડૂતોએ હંમેશા સરકાર પર ભરોસો મૂક્યો છે. તે જ વિશ્વાસ સાથે આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે વિભાગ પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યો છે.”
📋 વિભાગીય અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ, કાયમી માર્ગ શોધવા કવાયત
કૃષિમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોના આ પ્રશ્નના કાયમી નિકાલ માટે ઊર્જા અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે. આ માત્ર કોઈ રાજકીય વાયદો નથી, પરંતુ ખેડૂતોની સાચી વેદનાને વાચા આપીને તેનો કાયદાકીય અને ટેકનિકલ માર્ગ શોધવાનો સરકારે મન બનાવી લીધું છે.
ખેડૂતોમાં આનંદનો માહોલ: મંત્રીના આ હકારાત્મક અને મક્કમ આશ્વાસન બાદ સૌરાષ્ટ્ર સહિત સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વર્ષોથી ખેતરોમાં નડતરરૂપ બનતા વીજ પોલની કડાકૂટમાંથી હવે ટૂંક સમયમાં મુક્તિ મળશે તેવી આશા જગતના તાતમાં બંધાઈ છે.
Post Views: 0











