મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને દાહોદમાં અકસ્માત નડ્યો, આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ.
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો. રસ્તા ઉપર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે.
અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં ચાર શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, જયારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જયારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અકસ્માતને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માહિતી અનુસાર, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘાયલોએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે, ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે યુપીના પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બની હતી. બોલેરો અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.