Chhattisgarh Encounter : કુલહાડીઘાટના ભાલુદિગ્ગીની પહાડીઓ પર ગઈકાલે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા
Chhattisgarh Encounter : છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 14 નક્સલવાદીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. વિગતો મુજબ કુલહાડીઘાટના ભાલુદિગ્ગીની પહાડીઓ પર ગઈકાલે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલી શોધ દરમિયાન ગઈકાલે બે નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. આજે સવારે જવાનોએ 12 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.
ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. જવાનોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલવાદી ઓરિસ્સા રાજ્ય પ્રમુખ જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યા ગયેલા નક્સલવાદીઓમાં સામેલ છે. આ ઉપરાંત આ એન્કાઉન્ટરમાં CCM મનોજ અને ગુડ્ડુના પણ માર્યા ગયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, એન્કાઉન્ટર દરમિયાન એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો, જેને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન (ઓડિશા-છત્તીસગઢ સુરક્ષા દળો)માં લગભગ 1 હજાર જવાનોએ બંને રાજ્યોની સરહદો પર નક્સલવાદીઓને ઘેરી લીધા હતા.
ઓડિશા-છત્તીસગઢ સુરક્ષા દળો વચ્ચે સંયુક્ત ઓપરેશન
છત્તીસગઢ અને ઓડિશા સુરક્ષા દળોની કુલ 10 ટીમો નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવી રહી છે. સર્ચ દરમિયાન વધુ નક્સલવાદીઓના મૃતદેહ મળવાની શક્યતા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહની હાલ ઓળખ કરવામાં આવી રહી છે. ઓડિશા અને છત્તીસગઢ બોર્ડર પર કુલહારી ઘાટના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ ઓડિશા અને છત્તીસગઢ પોલીસે મળીને 19 જાન્યુઆરીએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. કુલહડી ઘાટ રિઝર્વ ફોરેસ્ટના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.