ઇશાન કિશનની વાપસી થઇ શકે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. આ શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂૂ થશે. પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. બીજી ટી20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી ટી20 મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણીમાં જોવા મળશે નહીં. પીટીઆઈએ તેના એક અહેવાલમાં આવો દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટી-20 સિરીઝ આ ફાઈવ સ્ટાર ખેલાડીઓ વિના રમાશે. વાસ્તવમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝ પછી તરત જ રમવાની છે.
આ કારણે આ પાંચ ખેલાડીઓને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવશે.રિપોર્ટ્સનું માનીએ તો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. ઈશાન લગભગ 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. આ શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડને પણ તક મળે તેવી શક્યતા છે. આ સિવાય રિયાન પરાગ અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ ટીમ સાથે રહેશે. આ શ્રેણીમાં અભિષેક શર્માને પણ તક મળવાની આશા છે. અભિષેકને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તક મળી હતી, પરંતુ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.