ખંભાળિયા – દ્વારકા માર્ગ પર રવિવારે બપોરે એક બ્રેઝા મોટરકારમાં દ્વારકા દર્શન કરીને પરત જઈ રહેલા ત્રણ મિત્રો સાથેની આ કાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં જઈ રહેલા મુલુંડ (મુંબઈ)ના રહીશ એવા એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર બનાવવાની વિગત એવી છે કે મહારાષ્ટ્ર રાજ્યના મુલુંડ (વેસ્ટ) ખાતે રહેતા વિરલ સતિષભાઈ ઐયા નામના 33 વર્ષના યુવાન તેમની સાથે ગાંધીધામ-કચ્છના સુભાષનગર વિસ્તારમાં રહેતા વિનયભાઈ નિલેશભાઈ શાહ (ઉ.વ. 24) અને તેમના વિદ્યાર્થી મિત્ર યુગલ સુશીલભાઈ ઝીંદલ (ઉ.વ. 22, રહે. ગાંધીધામ) ને સાથે લઈને સોમનાથ દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ ગઈકાલે તેમની એમ.એચ. 05 ડી.એસ. 9083 નંબરની બ્રેઝા મોટરકારમાં દ્વારકા દર્શન કરી અને પરત ગાંધીધામ જવા માટે આજે બપોરે રવાના થયા હતા. આ મોટરકાર વિરલભાઈ ચલાવી રહ્યા હતા.ગઈકાલે રવિવારે બપોરે આશરે દોઢેક વાગ્યે ખંભાળિયા-દ્વારકા માર્ગ પર હંજીયાખડી ગામ નજીક પહોંચતા રસ્તામાં આવેલા એક ખાડાને તારવવા જતા કાર ચાલક વિરલભાઈ ઐયાએ પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.
આ બનાવ અંગેની જાણ થતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે કાર ચાલક વિરલભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ હતુ. ત્યારે તેમની બાજુમાં બેઠેલા વિનયભાઈ શાહને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાછલી સીટમાં બેઠેલા 22 વર્ષીય યુવાન યુગલને કોઈ મોટી ઈજાઓ થઈ ન હતી.
આ સમગ્ર બનાવ અંગે વિનયભાઈ નિલેશભાઈ શાહ (ઉ.વ. 24, રહે. ગાંધીધામ – કચ્છ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક (મૃતક) વિરલભાઈ સતિષભાઈ ઐયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.