ગુજરાતના વહીવટીતંત્રમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઇએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતના લગભગ પાંચ આઇએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. આ આદેશ એટલા માટે અપાયો છે કેમ કે એવા આરોપો લાગ્યા હતા કે ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયા હતા.
આઇએએસ પૂજા ખેડકરની ઘટના બાદ ગુજરાતના પાંચ આઇએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દૃષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ના કારણો ટાંક્યા હતા.
વિકલાંગ સર્ટિફિકેટ ફરી રજૂ કરવું પડશે
ગુજરાતમાંથી પાંચ આઇએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ પાછું રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઇએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઇન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે.
કોને કોને કરાવવા પડશે ટેસ્ટ
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં તમામ આઇએએસ, આઇપીએસ, અને આઇએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવું વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.