સંકલનમાં વેપારીઓના પ્રશ્ને ઉંડી ચર્ચા બાદ અમુક કોર્પોરેટરોએ ભવિષ્યના ખતરાની ઘંટી વગાડી
રાજકોટ મનપા ભાજપની સંકલનમાં વેપારીઓની મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ સામે રોષનો પડઘો પહોંચાડવામાં આવ્યો હતો. તો સંકલન બાદ પ્રજાની વચ્ચેથી જો ચૂંટાયેલા લોકોનું મહત્વ ઘટશે તો આગામી ચૂંટણીમાં ચિંતા ઉભી થશે તેવો સૂર પણ વ્યકત થતો સંભળાયો હતો. રવિવારી બજારના પ્રશ્ર્ને છેક વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ આવીને રજુઆત કરી હતી અને વેન્ડર એકટનો અમલ કરવા રેલી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અગાઉ અગ્નિકાંડની ઘટનામાં રોષનો પડઘો પાડવા રાજકોટ બંધનું એલાન અપાયું હતું. તાજેતરમાં સંસદના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પીડિત પરિવારના સભ્યોને મળ્યા હતા. આ બાદ મુખ્યમંત્રી આ પરિવારોને મળ્યા હતા. આ રીતે છેલ્લા દોઢેક મહિનામાં કોંગ્રેસ પ્રજા વચ્ચે વધુ હાજરી પૂરાવી રહી છે. તો સીલીંગ ઝુંબેશ વચ્ચે વેપારીઓનો હાથ ભાજપના ચૂંટાયેલા લોકો પકડતા ન હોવાના અનુભવ થાય છે. આથી આ બાબત પણ ધ્યાને રાખવાની આડકતરી ચેતવણી અમુક કોર્પોરેટરો આપવા લાગ્યા છે.