પાકિસ્તાન સરકારના નવા નિર્ણય મુજબ ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે નાગરિકોના ફોન અને મેસેજ ટેપ કરી શકે છે. આ નિર્ણયથી પાકિસ્તાનના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોને શંકા છે કે સરકાર તેનો ઉપયોગ વિપક્ષ અને કાર્યકરોના અવાજને દબાવવા માટે કરી શકે છે.
પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈને એવી સત્તા આપવામાં આવી છે કે જે પાકિસ્તાનીઓની પ્રાઈવસીને ખતમ કરી દેશે. આઇટી મંત્રાલયે પાકિસ્તાનની ટોચની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ને દેશની સુરક્ષા માટે લોકોના ફોન કોલ્સને ઇન્ટરસેપ્ટ કરવાની સત્તા આપી છે. એટલે કે આઈએસઆઈ પોતાના દેશના નાગરિકોના ફોન ટેપ કરી શકશે.
કાર્યકર્તાઓને ડર છે કે તેનો ઉપયોગ સરકાર રાજકીય વિરોધીઓ, કાર્યકર્તાઓ અને મીડિયાને દબાવવા માટે કરી શકે છે. આઠમી ફેબુ્રઆરીની સામાન્ય ચૂંટણી પૂર્વે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્નીની એક ઓડિયો ક્લીપ ઓનલાઇન લીક થયા બાદ આ પગલાંએ ફરી લોકોનું ધ્યાન આઇએસઆઇ દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેલન્સ તરફ ખેંચ્યું છે.
રાજકીય પ્રેરિત નિર્ણય
પત્રકાર અને મીડિયા કાર્યકર્તા અદનાન રહમતને આરબ ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવ્યા હતા કે, “કોલ્સને આંતરતી અને લોકોની વ્યક્તિગત માહિતી મેળવવા માટે ગુપ્તચર એજન્સીઓની માન્યતા રાજકીય રીતે પ્રેરિત અને વિરોધીઓના અવાજને દબાવવા માટે બનાવવામાં આવી હોય તેવું લાગે છે.”
આ ફોન કોલ લીક થયા બાદ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની બુશરા ખાન અને અન્યોએ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે, પીટીએએ ટેલિકોમ કંપનીઓને નાગરિકોનો ડેટા એકઠો કરવા માટે મોટી સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવા જણાવ્યું હતું.
પાકિસ્તાનના બંધારણનું ઉલ્લંઘન
અરબ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની પત્રકાર અને કાર્યકર્તા મુનીઝા જહાંગીરે કહ્યું કે આ પગલું લોકોના મૌલિક અધિકારો અને સંવિધાનના અનુચ્છેદ 14નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કલમ 14માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની ગરિમા અને ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરી શકાય.