જે ગામમાં બોરવેલ ખુલ્લો હશે તો તે ગામના તલાટીની બનશે જવાબદારી
તલાટીઓએ સર્વે કરી લેખિત આપવું પડશે કે, ગામમાં એકેય બોરવેલ ખુલ્લો નથી : દુર્ઘટના થશે તો તલાટી વિરૂધ્ધ કાર્યવાહી કરાશે
થોડાક દિવસ પહેલાં જ અમરેલીના સુરાગપુરમાં દોઢ વર્ષની આરોહી બોરવેલમાં પડી હતી જેને બચાવવા માટે ૧૭ કલાક રેસ્કયૂ ઓપરેશન ચાલ્યુ હતું. આખરે માસુમ આરોહી મોત સામે જંગ હારી ગઈ હતી. ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો નોંધાઈ રહ્યો છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર એક્શનમાં મોડમાં આવી છે. હવે ગામમાં બોરવેલ ખુલ્લો હશે તો તલાટીની જવાબદારી ગણાશે. તલાટીઓએ સર્વે કરી લેખિત આપવું પડશે કે, ગામમાં એકેય બોરવેલ ખુલ્લો નથી. દુર્ઘટના થશે તો તલાટી વિરૂધ્ધ કાર્યવાહી કરાશે. છેલ્લાં ઘણાં સમયથી નાના બાળકોને ખુલ્લા બોરવેલમાં પડી જાય અને મોતને ભેટે છે. આવી ઘટનાઓમાં મોટાભાગે રેસ્કયૂ ઓપરેશન બાદ પણ માસૂમ બાળકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ વધી રહી છે જેના કારણે સરકારે તાકીદે કલેક્ટરોને કે સૂચના આપી છે કે, ગામમાં ખુલ્લા બોરવેલ બંધ કરાવો. હવે ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો તલાટી જવાબદાર ગણાશે. સાથે સાથે ખુલ્લા બોરવેલ રાખનારા સામે પણ કડક કાર્યવાહી કરવા સરકારે સંકેત આપ્યા છે. હવે તલાટીએ ગામમાં ખુલ્લો બોરવેલ તો નથીને તે અંગે ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત ગામમાં સર્વે કરીને કલેક્ટરને લેખિત આપવું પડશે કે, ગામમાં એકેય બોરવેલ ખુલ્લો નથી. રાજ્ય સરકારે પરિપત્ર કરીને જિલ્લા કલેક્ટરોને જાણ કરી છે. જો ગામમાં ખુલ્લો બોરવેલ હશે અને બાળકો પડી જવાની દુર્ઘટના ઘટશે તો તલાટી સામે પણ કેસ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી કરવા સરકારે નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કેટલાંય બાળકોના બોરવેલમાં પડી જવાથી મોત નિપજ્યાં છે.