લોકસભાની ચૂંટણી પૂરી થતા જ બદલીનો દોર : બિનખેતી-પુરવઠા શાખામાં સાફસુફી : 15 નાયબ મામલતદારોને ડીઝાસ્ટર વિભાગના હવાલે : ચોમાસાની ઋતુ સંદર્ભે રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલ કર્મચારીઓના હંગામી મહેકમ અંતર્ગત હુકમો
લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ નાયબ મામલતદારોની બદલીનો દોર હાથ પર લઈ 51 જેટલા નાયબ મામલતદારોની સામુહિક આંતરીક બદલીઓના ઓર્ડરોનો ઘાણવો કાઢયો છે. જેમાં કલેકટર કચેરીની બીનખેતી અને પુરવઠા શાખામાં સાફસુફી કરવામાં આવી છે તેમજ 15 નાયબ મામલતદારોને ડીઝાસ્ટર વિભાગના હવાલે કરવામાં આવેલ છે. આગામી ચોમાસાની ઋતુ દરમ્યાન વાવાઝોડુ, પુર પ્રકોપ, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા માટે જીલ્લા-તાલુકા કક્ષાએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા અને રાજકોટ સહિત રાજયના 33 જીલ્લાઓ તથા 271 તાલુકાઓમાં હંગામી મહેકમ તા.30/11 સુધીનું મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા આ બદલીના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં જીલ્લા પુરવઠા કચેરીમાં પુરવઠા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેજ પાનસુરીયાને કલેકટર કચેરીની ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુકવામાં આવેલ છે. આવી જ રીતે રાજકોટ પ્રાંત-2 કચેરીના ભાવીન વૈષ્ણવને રાજકોટ શહેરની પુર્વ મામલતદાર કચેરીમાં, નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પડધરીના ધવલ ભીમજીયાણીને રાજકોટ શહેરની પશ્ર્ચિમ મામલતદાર કચેરીમાં મુકવામાં આવેલ છે.
રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીના ભરત પરમારને આજ કચેરીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુકવામાં આવેલ છે. જયારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના ના.મામલતદાર કિરીટસિંહ ઝાલાને આજ કચેરીના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ સોંપવામાં આવી છે. કોટડાસાંગાણી મામલતદાર કચેરીના ના.મામલતદાર પવન પટેલને નવી મંજુર થયેલ જગ્યા પર આજ કચેરીમાં ફરજ સોંપવામાં આવી છે. રાજકોટ શહેર પ્રાંત-1 કચેરીના નાયબ મામલતદાર મહેન્દ્ર ભાલોડીને આજ કચેરીમાં સીરસ્તેદાર તરીકે ફરજ સોંપવામાં આવી છે.
જયારે પ્રાંત-2 કચેરીના ફરજ બજાવતા ના. મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમાને તેમની મુળ જગ્યાએ પ્રાંત-2 કચેરીમાં સીરસ્તેદાર તરીકે નિમણુંક કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા અશ્ર્વીન દોશીને કલેકટર કચેરીના જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુકવામાં આવેલ છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા 51 જેટલા નાયબ મામલતદારોની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં બીનખેતી અને પુરવઠા શાખામાં સાફસુફી કરવામાં આવી છે જયારે 15 નાયબ મામલતદારોને ડીઝાસ્ટર વિભાગના હવાલે મુકી દેવામાં આવેલ છે. નાયબ મામલતદારોની આ સામુહિક બદલીના પગલે કેટલાક કર્મચારીઓમાં ભારે કચવાટ જાગ્યો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD