ફાયર એનઓસી મેળવવા માટે કાર્યવાહી, મ્યુનિ. કોર્પો.નો સહયોગ જરૂરી : શાળા સંચાલકો
રાજકોટ શહેર જીલ્લાની તમામ ખાનગી શાળાઓ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાની સાથે જ તા.13 થી શરૂ કરવા માટે રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે મકકમતા દર્શાવી હતી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના પગલે ફાયર એનઓસીના મુદ્દે મ્યુનિ. કોર્પો. દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ધડાધડ સીલ મારવામાં આવી રહ્યા છે તેમજ અનઅધિકૃત રીતે ખડકાયેલા ડોમ સ્ટ્રકચરને હટાવી લેવામાં માટે પણ તાકીદ કરવામાં આવી છે. ફાયર એનઓસી વગરની ખાનગી શાળાઓને મરાયેલા સીલના મામલે શાળા સંચાલક મંડળના હોદેદારોએ આજે મ્યુનિસિપલ કમિશ્ર્નર સમક્ષ દોડી જઈ રજૂઆત કરી હતી. સંચાલકોએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી મેળવવા જરૂરી ડોકયુમેન્ટ શાળાઓની કચેરીઓમાં પડયા છે પરંતુ સીલ મરાયેલા હોવાથી તેઓ શાળાઓમાં તેઓ જઈ શકતા નથી માટે શાળાઓને મારેલા સીલ હંકામી રીતે ખોલી આપવામાં આવે તો તેઓ ડોકયુમેન્ટ મેળવી જરૂરી અરજી મ્યુ.કોર્પો,માં પહોંચાડી શકે.ફાયર એનઓસી મેળવવા માટે તમામ કાર્યવાહી શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ મ્યુ.કો.ના સહયોગ તેટલો જ જરૂરી છે. આગામી તા.13 થી નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ શરૂ કરવા માટે સંચાલકો મકકમ છે તેમ શાળા સંચાલકોએ જણાવ્યું હતું